we


ચૈતર વસાવાનો હસમુખ પટેલ પર ગંભીર આરોપ; ‘દ્રોણાચાર્ય પ્રથા’ ચલાવી SC, ST અને OBC ઉમેદવારોને નાપાસ કરે છે..!

        જો ‘વાડ જ ચિભડા ગળે’ તો ન્યાયની આશા કોની પાસે રાખવી..? આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSCના ઈન્ટરવ્યૂમાં જાતિવાદ ચાલતો હોવાનો ગંભીર આરોપ તેના ચેરમેન હસમુખ પટેલ પર લગાવ્યો છે. હસમુખ પટેલ દ્રોણાચાર્ય પ્રથા ચલાવી લિખિત પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર SC, ST અને OBC ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં બહુ ઓછા માર્ક આપી નાપાસ કરે છે..! હસમુખ પટેલ જાતિવાદી માનસિકતા ધરાવે છે..!

આ પહેલા ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ પણ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર અન્યાય અને પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં. તેમણે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો હતો અને GPSCની પરીક્ષામાં ચોક્કસ સમાજના ઉમેદવારોને વધુ માર્ક્સ અપાતા હોવાનું જણાવ્યું હતું. અહીં એ પણ આરોપ છે કે મુખ્યમંત્રી પટેલ, GPSCના ચેરમને પટેલ, સરદાર ધામમાં ઉમેદવારોને માર્ગદર્શન આપનાર પણ પટેલ..! અને ઇન્ટરવ્યૂ લેનાર પણ પટેલ...

ચૈતર વસાવાએ એક વિડીયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે GPSC દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે તેમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. હાલના પરિણામોનું ઉદાહરણ આપતા જણાવ્યુ હતુ કે, ૧૨ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ૪૧૨ થી ૪૨૯ ગુણ મળ્યા હતા, પણ મૌખિક ઇન્ટરવ્યૂમાં ફક્ત ૨૦ થી ૩૫ માર્ક આપી નાપાસ કરાયા છે. આવા બીજા ઉદાહરણ પણ આપ્યા છે. જમને ૩૭૬ થી ૩૮૯ માર્કસ મળ્યા હતાં તેમને હસમુખ પટેલની કમિટીએ મૌખિક ઇન્ટરવ્યૂમાં ૭૦ થી ૯૦ માર્ક આપી પાસ કર્યા છે. આમ જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં ટોપ ટેનમાં હતા તે લોકોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપવામાં આવ્યા જેના કારણે તેઓ નપાસ થયા.

અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વિવિધ ભરતીમાં યુપીમાં ૧૩.૦૪, એમપીમાં ૧૧.૧૧, રાજસ્થાનમાં ૧૦.૭૧, હરિયાણામાં ૧૨.૦૫, છતીસગઢમાં ૯,૦૯ ટકા મૌખિક ઇન્ટરવ્યુનું ભારાંક છે. જ્યારે ગુજરાતમાં ૫૦ ટકા ભારાંક છે..!

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જણાવે છે કે ગુજરાત સરકાર અને હસમુખ પટેલ આ બાબતે જાહેર ખુલાસો કરે. જો આમ નહીં કરાય તો ભૂતકાળના અને વર્તમાનના ઉમેદવારોને સાથે રાખીને GPSCની કચેરી સામે અમે કાર્યક્રમો કરીશું.

GPSCના ચેરમેન હસમુખ પટેલ પર ચૈતર વસાવાનો ગંભીર આરોપ

(click link)

https://www.instagram.com/share/BAAYdfucxC


આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આ આરોપ અત્યંત ગંભીર છે. એક તરફ કેંદ્ર સરકાર નીચલા વર્ગોના કલ્યાણ અને તેમને મુખ્યધારામાં જોડવા યોજના બનાવે છે. ત્યારે બીજી તરફ અધિકારીઓ જાતિવાદી નીતિઓના ઓથાતળે જો આવી નીતિ-રીતિ અપનાવતા હોય તો તે દુઃખદ અને નિંદનીય બાબત છે. જો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપમાં થોડું પણ સત્ય હોય તો સરકારે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવી કસુરવારોને સજા અને જેમની સાથે અન્યાય થયો છે તેમને ન્યાય આપવો જોઇએ.

No comments